સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવા મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે જનશક્તિને જળસંગ્રહ, જળસંચયના અભિયાનમાં જોડીને ગુજરાત વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું.
શ્રી પટેલે જણાવ્યું કે બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકાર અંદાજે 50 હજાર રિચાર્જ કૂવા બનાવશે. જેનાથી જળસંચયના પ્રયાસો વધુ વેગવાન બનશે.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે જળસંચય માટે દેશમાં 24 લાખ 20 હજાર પાણીના સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર નીકાળવા છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, બનાસ ડેરી જિલ્લામાં 25 હજાર રિચાર્જ કુવા બનાવશે જેમાં 50 ટકા સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે.
કેન્દ્ર સરકારના “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.