ભારત અને થાઇલેન્ડે આજે માહિતી ટેકનોલોજી, દરિયાઈ, એમએસએમઇ, હસ્તકલા અને હાથસાળ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આજે બેંગકોકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના તેમના સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ સમજૂતીઓનું આદાનપ્રદાન થયું હતું.બંને પક્ષોએ દ્વિપક્ષી સંબંધોની સમગ્ર પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવાના વિકલ્પો પર ચર્ચા કરી. સંયુક્ત નિવેદનમાં શ્રી મોદીએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી રચવાની જાહેરાત કરી.
બંને નેતાઓએ પરસ્પર વેપાર, રોકાણ અને વ્યવસાયો વચ્ચે આદાનપ્રદાન વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વાતચીત દરમિયાન બંને પક્ષોએ પૂર્વોત્તર ભારત અને થાઇલેન્ડ વચ્ચે પ્રવાસન, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, હાથસાળ અને હસ્તકલામાં સહકાર માટે પણ સમજૂતીઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ થાઈ રામાયણ, રામાકિયનની મનમોહક પ્રસ્તુતિ પણ નિહાળી હતી.
આજે સવારે થાઇલેન્ડ પહોંચેલા શ્રી મોદીનું વિમાનમથકે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. શ્રી મોદી આવતીકાલે યોજાનારી છઠ્ઠી બિમસ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા થાઇલેન્ડની બે દિવસની મુલાકાતે છે.
બિમસ્ટેક શિખર સંમેલન બાદ પ્રધાનમંત્રી મોદી આવતી કાલે શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાતે જશે.