મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસી માટે વિકાસનો દાયકો બન્યો છે. NDAની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કરવા સંદર્ભે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતુ રાજ્ય બન્યુ છે.
દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહ્યું, પ્રધાનમંત્રીની સરકારે જનતાને અપેક્ષા કરતા વધુ, ગુણવતા સાથે તેમજ સમયસર આપવુ તે મંત્ર સાથે કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવા સફળ થઇ છે. શ્રી પાટીલે જણાવ્યું ઓપરેશન સિંદુર થકી ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત ફકત વિકસિત નથી થયું પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનોને જવાબ આપી શકે છે.
આ પત્રકાર પરિષદ થકી 11 વર્ષના કાર્યકાળના હિસાબની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ સંકલ્પથી સિદ્ધી અંતર્ગત 11 વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાયું હતું.