પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલીમાં 4 હજાર, 800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જળ સંરક્ષણ સરકારની પ્રાથમિકતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભાજપના વડપણ હેઠળની સરકાર દરમિયાન ગુજરાતમાં મોટા પાયે પરિવર્તન અને બહુમખી વિકાસ થયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચવાથી ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે.
શ્રી મોદીએ સૌની યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો, જે સૌરાષ્ટ્ર માટે મહત્વની સાબિત થઈ.
તેમણે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા હાથ ધરાયેલા જળ સંરક્ષણના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
આજે ઉદ્ઘાટન કરાયેલા મુખ્ય પ્રકલ્પોમાં 101.4 કિલોમીટરની ભુજ-નલિયા રેલ લાઇનનું ગેજ રૂપાંતર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH 151, NH 151A, અને NH 51 ના વિવિધ વિભાગોનું ચાર-માર્ગીકરણ અને 700 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.