પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો આરંભ થઇ ચૂક્યો છે. ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક મેળાનો આરંભ કરાવ્યા બાદ આજે પણ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓને માધવપુરમાં આકર્ષવા તેમણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મંદિર પરિસરમાં 30 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ તથા રન-વે વિસ્તૃતિકરણ તેમજ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે માટે આ વર્ષના બજેટમાં નાણાંકીય જોગવાઈ કરાઇ છે. શ્રી પટેલે માધવપુરને સદીઓથી ધાર્મિક-આધ્યાત્મિક સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “વેડ ઇન ઇન્ડીયા” ના વિઝન માટે માધવપુર દેશનું ઉત્તમ સ્થળ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અમારાં જિલ્લા પ્રતિનીધી જણાવે છે કે આવતીકાલે નિજ મંદિરેથી ભગવાનની વરણાગી રાત્રે 9 કલાકે નીકળશે અને બ્રહ્મકુંડ સુધી જશે. 9 એપ્રિલે કડછ ગામના ગામજનો ધ્વજાજી સહિત મામેરું પુરશે. બપોરે 2 વાગ્યે રુકમણી માતાજીના મંદિરેથી માધવરાયજી મંદિરે સામૈયા, બાદ 4 વાગ્યે નિજ મંદિરેથી મધુવનમાં જાન પ્રસ્થાન કરશે.
Site Admin | એપ્રિલ 7, 2025 10:00 એ એમ (AM)
દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક માધવપુરમાં આકર્ષવા માટે મુખ્યમંત્રીના હસ્તે 30 કરોડના ખર્ચે યાત્રી સુવિધાનું લોકાર્પણ કરાયું
