ચૂંટણી પંચે આજે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે અને બીજી જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે અને 3 જૂને ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. મતદાન 19 જૂને થશે જ્યારે મતગણતરી 23 જૂને થશે.
ગુજરાતમાં, કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી થશે. કડી બેઠક વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પુંજાભાઈ સોલંકીના અવસાનને કારણે ખાલી પડી છે અને વિસાવદર બેઠક પર બીજી પેટાચૂંટણી વર્તમાન સભ્ય ભાયાણી ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈના રાજીનામાને કારણે થશે. કેરળમાં, પી. વી. અનવરના રાજીનામાને કારણે નીલંબુર બેઠક પર પેટાચૂંટણી થશે, જ્યારે પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર વર્તમાન સભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના અવસાનને કારણે પેટાચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં, વર્તમાન વિધાનસભા સભ્ય નસીરુદ્દીન અહમદના અવસાનને કારણે કાલીગંજ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે.