સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે વિધાનસભા બેઠકો પર યુનિટી માર્ચ યોજાય રહી છે, વ્યારા ખાતેથી મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આઠ કિલોમીટર પદ યાત્રાને પ્રસ્થાન કરાવતા મંત્રી નરેશ પટેલે એક જૂથ થવા લોકોને હાકલ કરી હતી.રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર અને ધારાસભ્ય નિમિષા સુથારની ઉપસ્થિતીમાં એકતા યાત્રા અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ હતી. સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી-ભાવાંજલી અર્પણ કરી હતી. મોરવા હડફ તાલુકા રાજ્યસભા સાંસદ તેમજ ધારાસભ્યે લીલીઝંડી આપી આ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.આ યાત્રાના સમાપન પૂર્વે મોરવા હડફ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.દાહોદમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની વિધાનસભાની પદયાત્રા યોજાઈ. પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયા અને મંત્રી રમેશ કટારા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું. મોઢવાડીયાએ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો અપનાવવા અનુરોધ કર્યો હતો.રાજકોટ શહેર વિધાનસભા વિસ્તારમાં 7 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. એકતા અને અખંડિતતાનું ઉદાહરણ પૂરી પાડતી આ પદયાત્રામાં વિવિધ મહાનુભાવો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.કચ્છના અબડાસા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા. આ પદયાત્રા દરમિયાન “સરદાર સાહેબ અમર રહો” અને “ભારત માતા કી જય”ના નારાઓથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું.સુરેન્દ્રનગરના વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ ‘હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવ્યો હતો.પાટણ જિલ્લામાં પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે 8 કિલોમીટર લાંબી પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
Site Admin | નવેમ્બર 18, 2025 9:20 એ એમ (AM)
સરદાર પટેલના જીવનના મૂલ્યો અપનાવવાના અનુરોધ સાથે રાજ્યભરમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોની આગેવાનીમાં એકતા યાત્રા યોજાઇ