ડિસેમ્બર 10, 2025 10:09 એ એમ (AM)

printer

સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં “સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ કર્મીઓ- અધિકારીઓનું અને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરી તેમને પકડાવનારા નાગરિકોનું સન્માન કરાયું હતું. ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનમાં વકતૃત્વ સ્પર્ધા – નિબંધ સ્પર્ધાના 12 વિજેતાને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા.આ પ્રસંગે બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, જે કાર્ય કરીએ, ફરજ બજાવીએ તેનાથી આત્મસંતોષ થાય તે જ સાચી ફરજ નિષ્ઠા છે. લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો એ.સી.બી.ની છાપ જ એવી હોય કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીં. જેના પરિણામે ભ્રષ્ટાચાર અટકશે અને રાજ્યની વિકાસયાત્રાને નવી ગતિ મળશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસીબીની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોઈ પણ પ્રકારના ક્લાસ, કેડર કે અધિકારી લેવલ જોયા વિના તમામ ભ્રષ્ટાચારીઓને પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી છે.