રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ ટાઉન એટલે કે નગર”ની બૃહદ યોજના બનાવવા સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા શહેરી આયોજકોને આમંત્રણ આપ્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025માં ‘અર્નિંગ વૅલ-લિવિંગ વૅલ’ના મંત્રને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હિરાસરને સૅટેલાઈટ નગર તરીકે વિકસિત કરાશે.
સેટેલાઇટ નગર એટલે મોટા શહેર અથવા મહાનગરની નજીક સ્થિત એવું શહેર કે, જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. તેવા શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે ધમધમતા કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ છે. તેનાથી મોટા શહેરો પર ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની નવી તક ખૂલે. આ શહેરોમાં વૈશ્વિક સ્તરની માળખાકીય સુવિધા અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વિકસિત કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે ટૅન્ડર એટલે કે, નિવિદા દ્વારા શહેરી આયોજકોની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટ એટલે કે, સલાહકારની નિમણૂક કરાશે, જેઓ એક વર્ષમાં શહેરો માટે બૃહદ યોજના તૈયાર કરીને રજૂ કરશે.
Site Admin | જાન્યુઆરી 2, 2026 7:37 પી એમ(PM)
શહેરો પર ભારણ ઘટાડવા રાજ્યમાં પાંચ “સૅટેલાઈટ નગર” બનાવાશે – રાજ્ય સરકારનો નિર્ણય