રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત-ફિલિપાઇન્સની ભાગીદારીને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો પાયો ગણાવી છે. જે બંને દેશોના લોકો માટે લાભકારક છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયરનું ભારતની તેમની પ્રથમ મુલાકાત પ્રસંગે સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, બંને દેશો વચ્ચેના વ્યાપક સહયોગમાં સતત ઉચ્ચ સ્તરીય જોડાણ, વધતો વેપાર અને વાણિજ્ય, મજબૂત સંરક્ષણ અને દરિયાઈ ક્ષેત્ર સહિત સુરક્ષા સહયોગનો સમાવેશ થાય છે, તેમણે કહ્યું કે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા સભ્યતા સંપર્કો, ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યો પર આધારિત છે.રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને આપેલા એકતા અને સમર્થન બદલ ફિલિપાઇન્સની સરકારનો આભાર માન્યો. ફિલિપાઇન્સ સાથે વિકાસ સહયોગ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ પર ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખની મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 6, 2025 7:39 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત-ફિલિપાઇન્સની ભાગીદારીને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો પાયો ગણાવી
