રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ આજે હોળી પ્રગટાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવવાનું પણ આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને હોળીની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું, હોળીનો તહેવાર પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને પ્રકૃતિના રંગોથી જીવનને સજાવવાનો સંદેશ આપે છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોળીને સામાજિક સમરસતાને ઉજાગર કરતો પર્વ ગણાવી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
બીજી તરફ દેવભૂમિદ્વારકામાં આવેલાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત રાજ્યભરનાં અનેક કૃષ્ણ મંદિરોમાં ફાગણી પૂનમ નિમિત્તે ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ છે. આજે ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કર્યું. હમણાં આઠ વાગ્યે પરંપરાગત રીતે હોળી પ્રગટવામાં આવશે.
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવ નિમિત્તે મંદિરમાં આવતીકાલે સવારે ચાર કલાકે મંગળા આરતી થશે.
જામનગર અને બોટાદની સામાજિક સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોએ ધુળેટી ઉજવણી કરી. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આજે પૂનમનો મેળો ભરાયો હતો. ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિર પાસે ભરાતા મેળામાં લોકો ધાણી, ચણા અને રંગ ખરીદતા નજરે પડ્યાં.
Site Admin | માર્ચ 13, 2025 7:51 પી એમ(PM)
રાજ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી – રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી.
