મે 24, 2025 7:24 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર સોમવાર 26મી મૅ સુધી વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખી અમરેલીના જાફરાબાદ બંદર પર તકેદારીની ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે, દરિયો તોફાની બને તેવી તેવી શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.
બીજી તરફ ગઈકાલે સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે અમરેલી શહેર, લાઠી, વડિયા, કુંકાવાવસ ચલાલા અને બગસરા વિસ્તારમાં 110 જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ-PGVCLની ટીમ વીજ પૂરવઠોને પુનઃસ્થાપિત કરવાની કામગીરીમાં જોડાઈ છે.
વલસાડ જિલ્લામાં પણ આજે સવારે ગાજવીજ સાર્વત્રિક કમોસમી વરસાદ ખાબક્યો. તેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ, ડાંગનાં કલેક્ટર શાલિની દુહાએ જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્યમથક પર સતત હાજર રહેવા સૂચના આપી છે.
નવસારીના ગણદેવી તાલુકામાં આજે અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો. દરમિયાન ભારે પવનના કારણે ચાર ગામમાં છ મકાનનાં પતરાં ઉડી ગયા હતા. જ્યારે ગણદેવીના સ્મશાનને પણ નુકસાન પહોંચ્યું. જ્યારે બિલિમોરામાં બે વૃક્ષ ધરાશાયી થયા હતા.
છોટા ઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે આજે વરસાદ થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.