રાજ્યની હોસ્પિટલમાં તબીબોની ઘટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વર્ગ-2ની એક હજાર 921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની એક હજાર 903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી પ્રગતિમાં છે. વિધાનસભા ગૃહમાં અંગદાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યું, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગોનું દાન મળ્યું છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 282 અંગોનું દાન મળ્યું છે. અંગદાન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ દીઠ 50 હજાર રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાય છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં સામુહિક વન નિર્માણ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અંદાજે 114 હેક્ટરમાં વાવેતર પાછળ 2 કરોડ 12 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે.
Site Admin | માર્ચ 19, 2025 7:12 પી એમ(PM) | હોસ્પિટલ
રાજ્યની હોસ્પિટલમાં તબીબોની ઘટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે
