રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાળ વાટિકાથી ધોરણ- 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતાં બપોરના ભોજન ઉપરાંત મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨ હજાર ૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. આ માટે વાર્ષિક ૬૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર કરશે.
રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદિજાતી વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાઓની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દુધ સંજીવની યોજના હેઠળ 200 મિલીગ્રામ ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે. આવી, 12 હજાર 522 શાળાઓમાં નોંધાયેલા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને બપોર પછીની નાની રિસેસમાં પૌષ્ટિક અલ્પાહાર અપાશે. આ સાથે મધ્યાહ્ન ભોજન યોજનાના માનદ વેતનમાં ૫૦ ટકાનો વધારો કરાશે. વિદ્યાર્થીઓને સપ્તાહ દરમિયાન બપોરના ભોજન પછીની નાની રિસેસમાં સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને જાડા ધાન્યનો પૌષ્ટિક અલ્પાહાર અપાશે..
Site Admin | ડિસેમ્બર 2, 2024 3:38 પી એમ(PM)
રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે
