ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે ઉત્તર ગુજરાતની મુલાકાત દરમિયાન મહેસાણા ખાતે રાજ્ય, માર્ગ વાહનવ્યવહાર નિગમની નવી 70 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે લાખો માઈભક્તોની સુવિધા માટે 5 હજાર 500 વધારાની બસોના સંચાલનનો શુભારંભ કરાયો. આ બસો 7 સપ્ટેમ્બર સુધી દોડવાશે, જેમાં અંબાજી, ગબ્બર, દાંતા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોને જોડતી બસ સેવાઓનો સમાવેશ થાય છે. અન્ય 55 મિની બસો ગબ્બર, દાંતા અને પાલનપુર જેવા મુખ્ય સ્થળોને જોડશે. દરમિયાન શ્રી સંઘવીએ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા ભાવિકો અને પદયાત્રીઓની સુરક્ષા માટે વિશેષ રીતે તૈયાર કરાયેલા પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ડ્રોન – સી.સી.ટી.વી., આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ કંટ્રોલરૂમ પાર્કિંગ વ્યવસ્થા સહિત માઈભક્તોની સલામતી માટે સતત કાર્યરત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 8:52 એ એમ (AM) | Ambaji melo | Harsh Sanghvi
રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા વધારવા 70 નવીન બસોનું લોકાર્પણ
