મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોબા – અડાલજ રોડ પર આવેલ અંબાપુર ખાતે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૩૨ કરોડના ખર્ચે બનેલ સંસ્કાર સંકુલ ભવનનું ઉદઘાટન કર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ સમાજના યુવાનોને આગળ વધવા માટે મહત્વનું કેન્દ્ર બનશે. શિક્ષણ – સંસ્કારની સાથે સહુના સહિયારા પ્રયાસથી કોઈ પણ સમાજનો વિકાસ થતો હોય છે.
શ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, દેશના બધા સમાજ આજે શિક્ષણની બાબતમાં જાગૃત થયા છે, દરેક સમાજ શિક્ષણને લઈને કઈ રીતે સમાજ માટે ઉપયોગી થઇ શકીએ તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, ચોર્યાસી કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ ભવનમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, ભોજનાલય, ઈ-લાઈબ્રેરી, ટ્રેનિંગ સેન્ટર, ઈનડોર ગેમ્સ, જીમ્નેશીયમ, મેરેજ હોલ, બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ અને ડોરમેટ્રી હોલ સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.