મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો દ્વિમાર્ગીય પૂલ બનાવવા 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારો આ બ્રિજ પાદરા અને આંકલાવને જોડશે. માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે દ્વિમાર્ગીય છે, એને ચાર માર્ગીય કરી 7 મીટરનો કરવાનું આયોજન કરાયું છે. ધોરીમાર્ગથી પૂલ સુધી પહોંચવાના 4.2 કિલોમીટર માર્ગને ચાર માર્ગીય કરવામાં આવશે. પૂલ બનાવવાની કામગીરી 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જેના ભાવપત્રકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયો હતો. આ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તાત્કાલિક આ પૂલ બનાવવા મંજૂરી આપી છે.
Site Admin | જુલાઇ 13, 2025 7:20 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો દ્વિમાર્ગીય પૂલ બનાવવા 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા