ઓગસ્ટ 24, 2025 3:07 પી એમ(PM)

printer

ભારે વરસાદને કારણે રાજ્યનાં 87 જળાશયો હાઇ એલર્ટ પર…

ભારે વરસાદને કારણે રાજ્યનાં 87 જળાશયો હાઇ એલર્ટ પર છે, જેમાં 62 જેટલા જળાશય સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 224 જેટલા માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે. મહીસાગરના બાલાસિનોરનો વણાકબોરી બંધ ઓવરફ્લો થયો છે, જેમાંથી 52 હજાર 394 ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે કડાણા બંધના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 40 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું. કડાણા બંધ 92 ટકા ભરાતા 8 જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. મોરબીના મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-2 બંધના 6 દરવાજા 4 ફૂટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કલ્યાણપુર – રાવલના પુલ પર પાણી ફરી વળતાં દ્વારકા-પોરબંદરને જોડતો રાજ્ય ધોરી માર્ગ બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે સુરત-ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. માંગરોળનો લો લેવલ કોઝવે પર નદીના પાણી ફરી વળ્યાં છે.
મહેસાણાના ધરોઈ બંધમાંથી પાણી છોડાતા વડનગર નજીક 6 લોકો ફસાયા હતા. જેમને વહીવટી તંત્ર દ્વારા બચાવી લેવાયા હતા.
ગાંધીનગરના સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલી 63 હજાર 224 ક્યુસેક સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને પગલે નદી કાંઠાના 28 જેટલા ગામોને એલર્ટ કરાયા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.