ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 26, 2025 7:44 પી એમ(PM)

printer

ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. આજે ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેરસભા સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો નાશ કરવાનો આરોપ લગાવ્યો.
પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરને માનવતાને બચાવવા અને આતંકવાદનો અંત લાવવાનું મિશન ગણાવતા તેમણે કહ્યું કે ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામે મજબૂતીથી લડાઈ છે, અને જે લોકો તેને પોષે છે તેઓ આપણા દુશ્મનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાકિસ્તાને ભારતીય નિર્દોષોને નિશાન બનાવ્યા, જેના માટે તેણે મોટી કિંમત ચૂકવી છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતે વિકાસ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે છેલ્લા બે દાયકામાં કચ્છના પરિવર્તનની પ્રશંસા કરી અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છ રનવેને પુનઃસ્થાપિત કરનાર કચ્છની બહાદુર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપી.ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીએ આજે ભુજમાં 53 હજાર 400 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. નવીનીકરણીય ઉર્જામાં કચ્છની પ્રગતિ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કચ્છ હરિત હાઇડ્રોજન અને સૌર ઉર્જાના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

આ અગાઉ પ્રધાનમંત્રીએ બપોરે ભુજના હીલગાર્ડનથી મીરઝાપર રોડ પર સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોનું પ્રધાનમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું.