બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. ૧૮ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૧ મતવિસ્તારોમાં સાંજે ૫ વાગ્યા સુધી ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.આ તબક્કો ભાજપના ઉમેદવારો અને નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત અનેક અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે, જેમાં નીતિશ કુમાર મંત્રીમંડળના ૧૬ મંત્રીઓનો સમાવેશ થાય છે. આરજેડી નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેસજ્વી પ્રસાદ યાદવ પણ ચૂંટણી મેદાનમાં છે.પ્રથમ તબક્કામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
દરમિયાન, બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. NDA અને મહાગઠબંધનના નેતાઓએ તેમના ઉમેદવારોના સમર્થનમાં એક પછી એક રેલીઓ અને રોડ શો કર્યા. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના અરરિયા અને ભાગલપુરમાં રેલીઓને સંબોધિત કરી. તેમણે RJD પર તેના કાર્યકાળ દરમિયાન બિહારમાં અરાજકતા અને વિકાસનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના પૂર્ણિયા ખાતે રેલી યોજી. શ્રી ગાંધીએ કહ્યું કે, બિહારને ફરીથી વિકાસ કરવાની જરૂર છે અને રાજ્યમાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને હોસ્પિટલો સ્થાપિત થવી જોઈએ.
બીજા તબક્કામાં, આ મહિનાની 11મી તારીખે 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. મતગણતરી 14 નવેમ્બરે થશે.
Site Admin | નવેમ્બર 6, 2025 7:57 પી એમ(PM)
બિહારમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ – સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન