બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે યુવાનો અને જ્ઞાતિમંડળોએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે. રાજ્યના જાણીતા સમાજ સેવક ગૌરાંગ જાનીએ આકાશવાણી સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું હતું ક, આ અભિયાનને સફળ બનાવવા માટે લોકજાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે.
જાણીતા સામાજીક કાર્યકર મિત્તલ પટેલે પણ આ અભિયાનને આવકાર્યું છે અને કહ્યું છે કે, ભારત જેવા વિકાસશીલ દેશને વિકસિત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને સશક્તિકરણમાં મદદરૂપ બનશે. પોલીયો નિર્મૂલનની જેમ જ આ અભિયાન સતત ચલાવવામાં આવશે તો આપણા દેશમાંથી આગામી વર્ષોમાં બાળ વિવાહની કુપ્રથા ચોક્કસપણે નાબૂદ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મહિલા અને બાળવિકાસમંત્રી અન્નપૂર્ણઆ દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
મહિસાગરના લુણાવાડા ખાતે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી સહિત બાળકોએ બાળ લગ્ન મુક્ત ભારત અંગેના શપથ લીધા.