બનાસકાંઠામાં ડીસા તાલુકાના ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, સ્થાનિક ગુનાશાખા- LCBએ આ મામલે ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. હાલમાં મધ્યપ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હૉસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. આ. કેસની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ- S.I.T.ની રચના પણ કરવામાં આવી છે. બીજી તરફ ગોડાઉનમાંથી 21 લોકોના મૃતદેહ કબજે કરાયા હોવાનું બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. શ્રી મોદીએ કહ્યું, દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે.મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં, મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત શ્રમિકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની રકમ આપવાની જાહેરાત કરી છે.આ પહેલા ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યકત કરતાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી.
Site Admin | એપ્રિલ 2, 2025 9:55 એ એમ (AM)
બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ગોડાઉનના માલિક પિતા – પુત્રની ધરપકડ
