જૂન 29, 2025 1:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું – આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં એ અહેવાલનો ઉલ્લેખ કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 64 ટકાથી વધુ વસ્તી અને 95 કરોડ લોકોને કોઇને કોઇ સામાજિક સુરક્ષાનો લાભ મળી રહ્યો છે.

શ્રી મોદીએ વિશ્વ આરોગ્ય સંગઠનનાં અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ભારતને આંખોનાં રોગ ‘ટ્રાકોમા’થી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. આ સફળતાઓએ વિશ્વાસ જગાવ્યો છે કે, આગામી સમય વધુ સારો હશે અને ભારત દરેક પગલે સશક્ત બનશે.

કટોકટીનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે,પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જનભાગીદારીનાં માધ્યમથી મોટી મોટી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. કટોકટી લાદનારાઓએ માત્ર બંધારણની જ હત્યા નહોતી કરી, તેમનો ઇરાદો ન્યાયતંત્રને પણ પોતાનું ગુલામ બનાવવાનો હતો. શ્રી મોદીએ જણાવ્યું કે, આ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં ગળે ટૂંપો દેવામાં આવ્યો.

પ્રધાનમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન વિશે પણ વાત કરી હતી, જેમાં લાખો વૃક્ષો રોપવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, આ અભિયાનનું એક વિશેષ પાસું સિંદૂર વન છે, જે ઓપરેશન સિંદૂરના શૂરવીર જવાનોને સમર્પિત જંગલ છે.

શ્રી મોદીએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં પતોડા ગ્રામ પંચાયતની અનોખી પહેલનો ઉલ્લેખ કર્યો, જે કાર્બન ન્યુટ્રલ ગ્રામ પંચાયત છે. આ ગામમાં દરેક ઘરમાંથી કચરો એકત્ર કરવાની સંપૂર્ણ વ્યવસ્થા છે અને ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને સફાઇ કર્યા વગરનું પાણી નદીમાં નથી વહેતું.

આ મહિનાની 21મી તારીખે ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, તેમાં દેશ અને વિશ્વના કરોડો લોકોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગને અપનાવી રહ્યા છે.

યાત્રાઓ વિશે બોલતા શ્રી મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, અમરનાથ યાત્રા અને જગન્નાથ રથયાત્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી આ યાત્રાઓ એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાનું પ્રતીક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આસામમાં બોડોલેન્ડ ફુટબોલ ક્ષેત્રમાં નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે અને દેશનાં રમતગમત ક્ષેત્રમાં ઝડપથી ઊભરી કહ્યું છે. બોડોલેન્ડ CEM કપમાં ત્રણ હજાર 700થી વધુ ટીમો અને 70 હજાર ખેલાડીઓ ભાગ લે છે, અને તેમાં પણ દીકરીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે.

ભારતની પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિ વિવિધતાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, મેઘાલયમાં આદિવાસીઓ, ખાસ કરીને ખાસી સમુદાયનાં લોકોએ સાચવેલા વારસાને કારણે એરિ સિલ્કને જીઆઇ ટેગિંગ મળ્યું છે.

પ્રધાનમંત્રીએ મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશની મહિલાઓ આજે દેશનું નવું ભાવિ ઘડવા તૈયાર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.