માર્ચ 30, 2025 9:35 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપકો ડૉ. કેશવ હેડગેવાર અને માધવરાવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપશે. શ્રી ગોલવલકરને ગુરુજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી દીક્ષા ભૂમિ જશે અને ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.પ્રધાનમંત્રી સવારે લગભગ 10 વાગ્યે નાગપુરમાં માઘવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કરશે. તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી નાગપુરમાં સોલાર ડિફેન્સ એરોસ્પેસ લિમિટેડ ખાતે લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને ડ્રોન માટે રનવે સુવિધાનું ઉદ્ઘાટન પણ કરશે.આ પછી, પ્રધાનમંત્રી બપોરે લગભગ 3.30 વાગ્યે છત્તીસગઢના બિલાસપુર જશે. શ્રી મોદી 33 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.