પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગઈકાલે, શ્રી મોદીએ પોર્ટ લુઇસમાં તેમના મોરેશિયસ સમકક્ષ નવીન ચંદ્ર રામગુલામ સાથે ફળદાયી વાતચીત કરી હતી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીની મજબૂતાઈનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને વર્તમાન સહયોગની સમીક્ષા કરી હતી અને બંને દેશો વચ્ચેના ખાસ સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા માટે નવા માર્ગો શોધવાની વાત કરી હતી.બેઠક દરમિયાન સંરક્ષણ, સુરક્ષા, આર્થિક જોડાણો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી કે, ભારત મોરેશિયસ માટે એક મૂલ્યવાન અને વિશ્વસનીય વિકાસ ભાગીદાર હોવાનો ગર્વ અનુભવે છે અને બંને દેશો ગ્લોબલ સાઉથના હિતોને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.બાદમાં મોરેશિયસના પ્રધાનમંત્રીએ યોજેલા ભોજન સમારોહમાં શ્રી મોદીએ મોરેશિયસને મિની હિન્દુસ્તાન ગણાવ્યું.પ્રધાનમંત્રીએ ગઈ રાત્રે પોર્ટ લુઇસમાં ભારતીય મૂળનાં નાગરિકોને સંબોધન કરતા જણાવ્યું કે, ભારતના સાગર વિઝનનાં હૃદયમાં મોરેશિયસ રહેલું છે. પ્રધાનમંત્રીએ તેમના 30 મિનિટના ભાષણમાં ભોજપુરી ભાષાનો વારંવાર ઉપયોગ કર્યો હતો. ટાપુ રાષ્ટ્ર મોરેશિયસની 70 ટકા વસ્તી ભારતીય મૂળની છે, ખાસ કરીને ભોજપુરી ભાષા બોલતા લોકોની.દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. ગઈ કાલે મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામે શ્રી મોદીને ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન પુરસ્કાર’ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રી મોદીનું આ 21મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
Site Admin | માર્ચ 12, 2025 9:42 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
