પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિળનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો. આ સાથે જ દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી. પ્રધાનમંત્રીએ આજે કોયમ્બતૂરમાં આવેલી કોયમ્બતૂર જિલ્લા લઘુ ઉદ્યોગ સંઘ – કૉડિસિઆ વેપાર મેળા પરિસરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલન 2025નું પણ ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, ગત 11 વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનશીલ સુધારા થયા છે. તેમણે દેશ પ્રાકૃતિક ખેતીનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું હોવાનું જણાવતા કહ્યું, તેની જૈવ વિવિધતા એક નવો આકાર લઈ રહી છે. શ્રી મોદીએ કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને 10 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો.
કોયમ્બતૂરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ ખેડૂતોને એક મોસમમાં એક એકર જમીન પર પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા અને આશ્ચર્યજનક પરિણામ જોવા હાકલ કરી.
આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉક્ટર એલ. મુરુગને બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. તેમણે પ્રધાનમંત્રીને ખેડૂતોના મિત્ર ગણાવતા કહ્યું, PM કિસાન સન્માન નિધિથી રાજ્યમાં 22 લાખ ખેડૂતને લાભ થયો છે.
Site Admin | નવેમ્બર 19, 2025 7:56 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિળનાડુથી PM કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો – નવ કરોડ ખેડૂતોને સહાય અપાઈ