પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘20 વર્ષ શહેરી વિકાસના’ કાર્યક્રમ અંતર્ગત પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ 27 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક હજાર છ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 22 હજારથી વધુ રહેણાક એકમોનું લોકાર્પણ કર્યું. દરમિયાન શ્રી મોદીએ સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મહાનગરપાલિકાને બે હજાર 731 કરોડ રૂપિયા અને 149 નગરપાલિકાને પાંચ સો ઓગણસિત્તેર કરોડ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ઉપરાંત શ્રી મોદીએ ગાંધીનગર ખાતે 84 કરોડ રૂપિયાના ખર્ચે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં 588 કરોડ રૂપિયાના ખર્ચે એક હજાર 800 પથારી ધરાવતા IPD સાથે 500 પથારીની સુવિધા સાથેના ચેપી રોગ માટેના OPD બ્લૉકનું પણ ખાતમુહૂર્ત કર્યું. ઉપરાંત અમદાવાદ ખાતે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું ખાતમુહૂર્ત પણ કર્યું.તેમણે શહેરી વિકાસ વિભાગ હેઠળ જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જુનાગઢના કુલ એક હજાર 447 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. જળ સંસાધન વિભાગ હેઠળ એક હજાર 860 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાયું. શ્રી મોદીએ સુરતના કાંકરા-ખાડીના કિનારે 145 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બાયૉડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કર્યું.
Site Admin | મે 27, 2025 6:58 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ આજે ગાંધીનગરથી પાંચ હજાર 536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું
