ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે અને આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના મંત્રીની “કબૂલાત”ની પણ ઝાટકણી કાઢી છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના તાજેતરના ટેલિવિઝન ઇન્ટરવ્યુ તરફ ઈશારો કરતા યુએનમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું કે, આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના ઇતિહાસ અંગે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનની કબૂલાત આખી દુનિયાએ સાંભળી છે. તેણીએ કહ્યું કે, આ જાહેર કબૂલાત પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપનાર અને પ્રદેશને અસ્થિર બનાવનાર દુષ્ટ દેશ તરીકે પ્રસ્થાપિત કરે છે. રાજદૂત પટેલે ભારત વિરુદ્ધ પ્રચાર અને પાયાવિહોણા આરોપો લગાવવા માટે વૈશ્વિક મંચનો દુરુપયોગ કરવા બદલ પાકિસ્તાનની પણ ટીકા કરી હતી.
રાજદૂતે કહ્યું કે, ભારત પહેલગામ ખાતે તાજેતરના આતંકવાદી હુમલાના પગલે વિશ્વભરના નેતાઓ અને સરકારો દ્વારા આપવામાં આવેલા મજબૂત સમર્થનની ખૂબ પ્રશંસા કરે છે અને તેની કદર કરે છે.
Site Admin | એપ્રિલ 29, 2025 1:35 પી એમ(PM)
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની આતંકવાદીઓને તાલીમ આપવાની કબૂલાત પર સંયુકત્ રાષ્ટ્રસંઘમાં ભારતે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી.
