નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છના પ્રવાસ દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદી પુનરાજપર ગામની મુલાકાત લીધી. ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક-આર્થિક સ્થિતિ તથા રહેણીકરણીથી અવગત થવા શ્રી સંઘવી લખપત તાલુકાના પુનરાજપર ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગ્રામજનોને સંબોધિત કર્યા હતા. શ્રી સંઘવીએ કહ્યું, કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સલામત રાખ્યા છે.
કચ્છના પ્રથમ સરહદી ગામ પુનરાજપરના લોકોએ ભારત માતાની જયના નાદ સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. શ્રી સંઘવીએ ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ-સુવિધાઓ તથા સામાજિક-આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, તેમની સાથે આ મુલાકાતમાં જોડાયેલા રાજ્યના 30 IPS અધિકારી શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે. સાથે જ શ્રી સંઘવીએ પુનરાજપર ગામને દેશનું પ્રથમ ગામ અને ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાવી ગામની પ્રશંસા કરી હતી.
Site Admin | નવેમ્બર 6, 2025 7:20 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામ પુનરાજપરની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો.