ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે, બંને દેશોની ત્રીજી મંત્રીસ્તરીય ગોળમેજ બેઠક (આઈએસએમઆર) આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં, બંને દેશોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના તેમના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી. આ દરમિયાન, સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.
ભારત તરફથી, વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં ભાગ લીધો હતો. બીજી તરફ, નાયબ પ્રધાનમંત્રી ગમ કિન યોંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ બાબતોના સંકલન મંત્રી કે. શન્મુગમ સહીતના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ બેઠક અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, મંત્રીઓએ આઈએસએમઆર ના છ સ્તંભો- ડિજિટલાઇઝેશન, કૌશલ્ય વિકાસ, ટકાઉપણું, આરોગ્યસંભાળ, કનેક્ટિવિટી અને અદ્યતન ઉત્પાદન હેઠળ ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. તે જ સમયે, વિદેશ મંત્રી એસ. જયશંકરે એક્સ પર જણાવ્યું હતું કે, સરકાર અને ઉદ્યોગ વચ્ચેનો તાલમેલ બંને દેશો વચ્ચેના સંબંધોના આગામી તબક્કાને ખોલવાની ચાવી છે.
Site Admin | ઓગસ્ટ 13, 2025 7:46 પી એમ(PM)
નવી દિલ્હી ખાતે યોજાયેલી ગોળમેજી પરિષદમાં ભારત અને સિંગાપોરે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી
