રાજ્યભરમાં દિવાળીના તહેવારને લઈ મંદિરોથી લઈ સરકારી ઇમારતો અને રોડ-રસ્તાઓ પર રોશનીનો વિશેષ શણગાર કરાયો છે. શક્તિપીઠ અંબાજી, યાત્રાધામ પાવાગઢથી લઈ તમામ મંદિરોમાં પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે વિક્રમ સંવતના નૂતન વર્ષને વધાવવા આજથી જ મંદિરોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.
સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં આજથી ભક્તો આવવા લાગ્યાં છે. વહેલી સવારે માતાજીના દર્શન કરીને ભક્તો નવા વર્ષનો પ્રારંભ કરશે.
દિવાળી નિમિત્તે પોરબંદરની મુખ્યબજારમાં મહાલક્ષ્મી માતાજીના પૌરાણિક મંદિરમાં માતાજીને 55 લાખ રૂપિયાના ચલણી નોટનો શણગાર કરાયો. 60 હજારથી વધુ ભક્તોએ આ શણગારના દર્શનનો લ્હાવો લીધો હતો.
દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં ગોવર્ધન પૂજાની પરંપરાગત ઉજવણી સંપન્ન થઈ. પૂજારીઓએ જણાવ્યું, દર વર્ષે વિક્રમ સંવતના નવ વર્ષની શરૂઆત સાથે અન્નકૂટ મનોરથની શરૂઆત ગોવર્ધન પૂજાથી થાય છે. આજના દિવસે ઠાકોરજી સમક્ષ ગાયના છાણનું લિપણ કરી પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવી.
પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં જય રણછોડના નાદ સાથે અન્નકૂટને લૂંટવાની પરંપરા આજે પણ અકબંધ રહી. દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવાય છે અને વર્ષોની પરંપરા મુજબ, આસપાસના 75 ગામના લોકોએ આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા આમંત્રણ અપાયું હતું. બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર 11 મિનીટમાં જ 151 મણનો અન્નકૂટના પ્રસાદને લૂંટવામાં આવ્યો.
Site Admin | ઓક્ટોબર 21, 2025 7:11 પી એમ(PM)
દિવાળીને લઈ મંદિરોમાં ભક્તોનો ઉત્સાહ – પોરબંદરનાં પૌરાણિક મંદિરમાં માતાજીની ચલણી નોટોનો શણગાર કરાયો.