ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 1, 2024 5:16 પી એમ(PM)

printer

દિવાળીનાં પાવન પર્વ નિમિત્તે ગઈ કાલે રાત્રે રાજ્યનાં મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી

દિવાળીનાં પાવન પર્વ નિમિત્તે ગઈ કાલે રાત્રે રાજ્યનાં મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધી રાજેશ ભજગોતર જણાવે છે કે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું.
મંદિરના સંકીર્તન ભવન ખાતે લક્ષ્મી પૂજનમાં શ્રી યંત્ર, શ્રીગણેશ, રોજમેળ લેખનીનું વિજય વિધાન અને શાસ્ત્રોત વિધી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન માધ્યમથી જોડાયેલ ભાવિકોનાં રોજમેળનું સોમનાથ ખાતે પંડિતજી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન, સંવત ૨૦૮૦ની અંતિમ માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દિવાળી પર્વ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી.
પ્રણાલિકા અનુસાર રાત્રિના 10:00 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. મધ્ય રાત્રિએ 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, પાલીતાણામાં આવેલા ૧૨૫ વર્ષ જુના શ્રી કાળ ભૈરવ મંદિરે કાળી ચૌદશની રાત્રીએ શ્રી કાળભૈરવ દાદાના મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ભારતમાં શ્રી કાલભૈરવના ચાર જ મંદિર આવેલા છે જેમાં કાશી ઉજ્જૈન, ઇન્દો્ર, ગુજરાતમાં પાલીતાણાનો સમાવેશ થાય છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે ગુરુદેવ બજરંગદાસ બાપાના ધામમાં વિક્રમ સંવત 2081ના પ્રથમ દિવસે એટલે કે આવતી કાલે અન્નકૂટપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બગદાણાના ગુરુ આશ્રમ ખાતે આવેલા બજરંગદાસ બાપાના ગાદી મંદિર, શ્રીરામ પંચાયત સાથેના નૂતન મંદિર, શ્રીકાળભૈરવ દાદા મંદિર, શ્રી અન્નપૂર્ણા દેવી મંદિર ખાતે વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ કરવામાં આવશે.
અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, પોરબંદરના પૌરાણિક મહાલક્ષ્મીમજીના મંદિરે દિપોત્સવી પર્વને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. શ્રી મહાલક્ષ્મીાજીને 55 લાખ રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો.
આ શણગાર દર્શનમાં એક રૂપિયાનાં સિકકાથી માંડીને 500 રૂપિયાની નોટોનો શણગાર કરવામા આવ્યો હતો. આજે પણ શ્રધ્ધાળુઓ તેનાં દર્શન કરી શકશે.
અમારા આણંદ જિલ્લાનાં પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે, અક્ષર ફાર્મમાં ચોપડા પૂજન – મહા લક્ષ્મી પૂજનમાં હરિભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધી સવજી ચૌધરી જણાવે છે કે, મીની અયોધ્યા તરીકે ઓળખાતા કટાવમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનાં ભવ્ય પ્રાચીન મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ