અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે. સ્થાનિક માછીમારોએ આ બોટને જોતાં તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોટમાં રહેલા ખલાસીઓએ બોટને ઝડપથી હંકારી હતી. માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતાં તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે બોટ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતાં તમામ બંદરો પર એલર્ટ જાહેર કરાયું છે.આ બોટની હિલચાલ બાદ હવે સલામતીના કારણોસર માછીમારોના જાન-માલની સુરક્ષા માટે જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ અને નવાબંદર સહિતના તમામ બંદરો પર બોટો લાંગરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરિયાઈ માર્ગનો દુરુપયોગ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નવી સૂચના જારી ન કરવામાં આવે, ત્યાં સુધી કોઈપણ માછીમાર દરિયામાં જઈ શકશે નહીં. બોટ માલિકોને તેમની બોટો સુરક્ષિત સ્થળે લાંગરવા સૂચના આપવામાં આવી છે.
Site Admin | મે 19, 2025 9:47 એ એમ (AM)
જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટની હિલચાલના પગલે કોસ્ટ ગાર્ડ એલર્ટ – માછીમારોને દરિયામાં ન જવા સૂચના
