છેલ્લા બે વર્ષમાં પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ- રાણીની વાવની પાંચ લાખથી વધુ ભારતીયો અને ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ મુલાકાત લીધી હતી.
પાટણમાં આવેલી રાણીની વાવને વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું. 19થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાણીની વાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ અને કેન્દ્ર સરકાર દ્વારા ચલણી નોટ 100 રૂપિયા પર રાણીની વાવના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે. જેના પરિણામે સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દેશ અને વિદેશના પ્રવાસીઓ અદભુત વાવને નિહાળવા ઉમટી પડે છે. રાણીની વાવની અદભુત કળા અને કોતરણીથી પ્રવાસીઓ ખૂબ જ અભિભૂત થાય છે. વર્ષ 2016માં રાણીની વાવને આઇકોનિક ક્લીન પ્લેસ તરીકે પસંદગી થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવોર્ડ એનાયત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાણીની વાવ પાટણ શહેરથી બે કિલોમીટરના અંતરે સરસ્વતી નદીના તટ પર આવેલી છે. સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતુ.
Site Admin | નવેમ્બર 24, 2024 8:09 એ એમ (AM) | રાણીની વાવ
છેલ્લાં બે વર્ષમાં પાટણની પ્રસિધ્ધ રાણીની વાવની પાંચ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી.
