ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108 ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે.
કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા માટે તત્પર એવી 108 એમ્બ્યુલન્સ સેવા, ફોન મળતાં ગણતરીની મિનિટોમાં અમદાવાદના નરોડા બસ સ્ટેન્ડ પહોંચી અને તરત જ બાળકીને સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરી.
ઘટનાની જાણકારી મુજબ નરોડા લોકેશનના ઇએમટી મનીષા મકવાણા તથા પાયલોટ જયેશભાઈને એક કોલ એવો મળેલો હતો કે જેમાં (ફોન કરનાર) ના જણાવ્યા મુજબ નરોડા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાં એક નવજાત બાળકી પડી છે. જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સ પાંચ થી છ મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી… માત્ર એક દિવસની નવજાત બાળકીના કુમળા ચહેરા પર ઘસરકા પડેલા જણાયા હતા. ઘટના સ્થળે જ સારવાર અપાઈ અને તેને એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની મદદથી સારવાર આપતા આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ… છેલ્લી માહિતી પ્રમાણે આ બાળકી હાલ સ્વસ્થ છે.