કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં સંબોધન કરતાં શ્રી શાહે કહ્યું, દેશનું GDP 4.19 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે ટૂંક સમયમાં જ ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમણે ઉમેર્યું, વર્ષ 2024-25માં વિશ્વના 50 ટકા ડિઝિટલ નાણાકીય વ્યવહાર ભારતમાં થયા છે.
અગાઉ, અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું, દેશમાં સર્વગ્રાહી દ્રષ્ટિકોણ સાથે આરોગ્ય માળખાનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું, કોરોનાકાળ દરમિયાન સેવારત રહેલા તબીબોએ દર્દીઓને પ્રાથમિકતા આપી.
શ્રી શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવા વણઝર ખાતે 330 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, તેમજ નવા વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણ કરાયું. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાયું. શ્રી આજે ગોધાવી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ઉપસ્થિત રહેશે.