કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં ચાલી રહેલી મતદારયાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશમાં સંપૂર્ણ સહકાર આપવા પણ લોકોને અપીલ કરી. કચ્છના ભુજમાં સરહદ સુરક્ષા દળ – BSFના હીરક જયંતી સમારોહને સંબોધતા તેમણે આ ઝૂંબેશને મતદારયાદીના શુદ્ધિકરણ અને લોકશાહીના સશક્તિકરણ માટે મહત્વની ગણાવી હતી.
દરમિયાન શ્રી શાહે આગામી એક વર્ષ BSFના આધુનિકીકરણ અને બળના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે તેવી જાહેરાત પણ કરી. ગૃહ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં BSFને વિશ્વનું સૌથી આધુનિક અને આક્રમક દળ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, તેમ પણ તેમણે ઉમેર્યું.
શ્રી શાહે સરકારની મુખ્યપહેલ “ઇ-બૉર્ડર” સુરક્ષાને લાગુ કરવામાં BSFની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું. દેશની સરહદ સલામતીની સાથે સાથે આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા બી એસ એફએ ઉગ્રવાદ, ઘૂસણખોરો સામે કરેલી કામગીરીની પણ તેમણે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે શ્રી શાહે એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી અને પરેડનું નિરીક્ષણ કર્યું. તેમણે હૅડ કૉન્સ્ટેબલ સાંવલા રામ બિશ્નોઈને મરણોત્તર વીરતા ચંદ્રક એનાયત કર્યો, અને રાષ્ટ્રીય સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન બદલ BSFના વીર યોદ્ધાઓને ચંદ્રક અને ટ્રોફીથી સન્માનિત કર્યા.
Site Admin | નવેમ્બર 21, 2025 7:49 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં BSFને વિશ્વનું સૌથી આધુનિક અને આક્રમક દળ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક- ભુજમાં BSFના હીરક જંયતીની ઉજવણી