ડિસેમ્બર 6, 2025 7:47 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને યુનિટી માર્ચના સમાપન સમારોહમાં 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાઓને સાથે મળીને કામ કરવા હાકલ કરી

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે યુવાનોને જાગૃત થવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે જોરદાર હાકલ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને દેશની પ્રગતિનું એન્જિન ગણાવ્યું અને ભાર મૂક્યો કે ભારતની મોટી યુવા વસ્તી એક મુખ્ય રાષ્ટ્રીય શક્તિ છે.
રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના અપાર યોગદાનને યાદ કરીને, તેમણે યુવાનોને સરદારના મૂલ્યોને તેમના જીવનમાં અપનાવવા વિનંતી કરી. ઉપરાષ્ટ્રપતિએ માય યુવા ભારત જેવી પહેલ દ્વારા યુવા ઊર્જાને ચારિત્ર્ય નિર્માણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા તરફ વાળવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ પર પણ ભાર મૂક્યો.
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત રાષ્ટ્રીય પદયાત્રા 26 નવેમ્બર, 2025 ના રોજ કરમસદથી શરૂ થઈ હતી અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફળતાપૂર્વક સમાપ્ત થઈ. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, રક્ષા ખડસે અને રાજીવ રંજન રાય પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબને દેશભરમાં મજબૂત અને કદ્દાવર જનનેતાના રૂપમાં પ્રસ્થાપિત કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીનું વર્ષ સમગ્ર દેશમાં રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતું વર્ષ બની ગયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.