ભારતીય અવકાશયાત્રી ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લાનું દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું. આજે વહેલી સવારે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંઘ, દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને શ્રી શુક્લાનું સ્વાગત કર્યું.
આંતરરાષ્ટ્રીય અવકાશમથક- ISSનો પ્રવાસ કરનારા પહેલા ભારતીય તરીકે ઇતિહાસ રચ્યા બાદ શુભાંશુ શુક્લા સંયુક્ત રાજ્ય અમેરિકા- U.S.A.માં પુનર્વસન કાર્યક્રમથી પસાર થયા. તેમણે નાસાના ઍક્સિઑમ-ચાર અભિયાનનું સંચાલન કર્યું, જેને આ વર્ષે 27 જૂને ફ્લૉરિડાના કૅનેડી અવકાશ મથકથી પ્રસ્થાન કરાવાયું હતું.
અભિયાન દરમિયાન શ્રી શુક્લાએ અવકાશમાં વૈજ્ઞાનિક સંશોધનને આગળ વધારવાના હેતુસર અભૂતપૂર્વ સુક્ષ્મ ગુરુત્વાકર્ષણ પ્રયોગ કર્યા. તેઓ ગયા મહિને 15 તારીખે સલામત રીતે પૃથ્વી પર પરત આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર શ્રી શુક્લાએ પોતાના પ્રવાસ અને મિત્રો તથા પરિવારને ફરી મળવાનો ઉત્સાહ બતાવતા એક ભાવુક સંદેશ લખ્યો હતો. આ સાથે જ તેઓ ભારતના પહેલા માનવ અવકાશયાન અભિયાન ગગનયાન માટે પસંદ થયેલા અવકાશયાત્રીઓમાંથી એક છે. આ અભિયાન આવતા વર્ષના અંત સુધીમાં પ્રક્ષેપિત કરાશે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 2:39 પી એમ(PM)
આંતરરાષ્ટ્રીય અવકાશમથકનો પ્રવાસ કર્યા બાદ પહેલી વાર ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લા આજે સ્વદેશ પરત ફર્યા.
