અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને વિમાન દુર્ઘટનાના પીડિતોની ઓળખ કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 9 વાગ્યા સુધી 19 ડીએનએ મેચ થયા છે. ફોરેન્સિક ટીમોએ વધુ ડીએનએ નમૂનાઓ મેચ કરવા માટે સમગ્ર રાત્રિ દરમિયાન કામગીરી કરી હતી.ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી-FSLની ત્રણ ટીમ દ્વારા ડીએનએ સેમ્પલ એનાલીસીસની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં મૃતકોનાં 248 સગાં-સંબંધીઓના લોહીનાં નમૂના લેવામાં આવ્યાં છે. જ્યારે વધુ 11 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે તેમાંથી 9 મૃતદેહો સુપરત કરવામાં આવ્યાં છે.અમારા સંવાદદાતા જણાવે છે કે અકસ્માતના ભોગ બનેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે કરવામાં આવશે. અંતિમ વિધિની તારીખ ડીએનએ પરીક્ષણના પરિણામ પર આધારિત છે.દરમિયાન, સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિવારોની સુવિધા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે દરેક પીડિતો માટે એક અલગ ટીમ ફાળવવામાં આવી છે અને મફત એમ્બ્યુલન્સ પણ પૂરી પાડવામાં આવી રહી છે.
Site Admin | જૂન 15, 2025 9:30 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગઈકાલ સુધીમાં 19 DNA મેચ થયા
