ગઈ કાલે સાંજે અને મોડી રાત્રે કેટલાંક જિલ્લાઓમાં વરસાદનાં અહેવાલ છે.
સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધી જણાવે છે કે, સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ દુકાનોનાં છાપરા અને હોર્ડિંગ્સ ઉડયા હતા.
પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈ કાલે રાત્રે શહેરા તાલુકાના રેણા મોરવા ગ્રામ્ય વિસ્તારોમાં અને ગોધરા શહેરમાં વરસાદ પડ્યો હતો. જો કે, વાવાઝોડાના પગલે કેરીના પાકને નુકસાન થયું હોવાનાં અહેવાલ છે.
મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે, લુણાવાડા ખાનપુર કડાણા અને સંતરામપુર તાલુકામાં વરસાદનાં અહેવાલ છે. વાવાઝોડાને કારણે ખાનપુર લીમડિયા હાઇવે પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
છોટાઉદેપુર જીલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે, રાત્રીના એક વાગ્યે વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે .
અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ભારે વરસાદની આગાહીને પગલે સત્તાવાળાઓએ નાગરિકોને લો-લાઈન કોઝવે પર પાણી હોય ત્યારે પસાર ન થવાની અને નદી-નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ટાળવા સૂચના આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી રાજ્યનાં કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજથી મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી છે.
ગઈ કાલે સવારે આઠથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી રાજ્યનાં 10 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ 2.5 ઇંચ રાજકોટ તાલુકામાં અને બે ઇંચ કુંકાવાવ વડિયા તાલુકમાં પડ્યો હતો.
Site Admin | મે 23, 2025 9:25 એ એમ (AM)
રાજ્યનાં અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
