ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 7:57 પી એમ(PM)

printer

ભારત અને અંગોલા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરાયા

ભારત અને અંગોલાએ કૃષિ, પરંપરાગત સારવાર અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારોનું આદાન-પ્રદાન કર્યું છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંજાલ્વેસ લોરેન્સો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ સમજૂતી કરારોનું આદાન-પ્રદાન થયું. વિદેશ મંત્રાલયના સચિવ દમ્મુ રવિએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે અંગોલા ભારત પાસેથી સંરક્ષણ સાધનો ખરીદશે. ખરીદવામાં આવનારા માલ સામાન અંગે ભારતીય ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે ચર્ચાઓ ચાલી રહી છે.
વિદેશ મંત્રાલયના સચિવે કહ્યું કે અંગોલાના રાષ્ટ્રપતિએ ભારતીય ભૂમિ પર થયેલા આતંકવાદી હુમલાની સખત ટીકા કરી છે અને ભારતના લોકો સાથે એકજુટતા વ્યક્ત કરી છે. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
અંગોલાના રાષ્ટ્રપતિને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર કહ્યું કે આતંકવાદ માનવતા માટે ગંભીર ખતરો છે. તેમણે પહલગામ આતંકવાદી હુમલા પર અંગોલાના શોક માટે આભાર વ્યક્ત કર્યો. સંયુક્ત પત્રકાર પરિષદમાં, શ્રી મોદીએ આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે સરહદ પાર આતંકવાદ સામેની લડતમાં અંગોલાના સમર્થન બદલ આભાર માન્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અંગોલાના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે 20 કરોડ ડોલરની સંરક્ષણ સહાય મંજૂર કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ લોરેન્સોએ ભાર મૂક્યો કે 38 વર્ષમાં પહેલી વાર થયેલી આ રાજકીય મુલાકાત અંગોલા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે આ મુલાકાતને ભારત અને અંગોલા વચ્ચે મિત્રતા અને સહયોગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાવી. રાષ્ટ્રપતિ લોરેન્સોએ તેમના પ્રતિનિધિમંડળ વતી ભારતના આતિથ્ય અને ઉષ્માભર્યા સ્વાગત માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે સવારે રાષ્ટ્રપતિ લોરેન્સોને મળ્યા. તેમણે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં કહ્યું કે રાષ્ટ્રપતિ લોરેન્સોની પ્રધાનમંત્રી મોદી સાથેની વાતચીત ભારત-અંગોલા અને ભારત-આફ્રિકા સંબંધો માટે વિકાસના નવા માર્ગો ખોલશે.
અંગોલાના રાષ્ટ્રપતિ ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ અંગોલાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ લોરેન્સોએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ