ભારતીય સંરક્ષણ દળોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલ ઓપરેશન સિંદૂરને રાજ્યભરમાંથી તમામ રાજકીય પક્ષો તેમજ સામાન્ય નાગરિકો દ્વારા વ્યાપક આવકાર આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપીને સેનાના જવાનોએ વિશ્વને ભારતના સાહસનો પરિચય કરાવ્યો છે. ઓપરેશન સિંદૂર એ 140 કરોડ ભારતીયોની એકતાનો અવાજ છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, વિશ્વની પ્રથમ હરોળમાં આવતી અદ્યતન સંસાધનોથી સજ્જ એવા વીર જવાનો પર અમને ગર્વ છે. જ્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, ભારતીય સેનાએ આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.
પહેલગામ આતંકી હુમલામાં પતિ ગુમાવનાર સુરતના શીતલબેને કહ્યું, સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે.
પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના યતિષ પરમાર, સ્મિત પરમારના પરિવારે પણ સરકાર આ કડક પગલાંને આવકાર્યું છે. તેમના પરિવારજનોએ જણાવ્યું કે સરકારે બદલો લેતા મૃતકને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે.
સાબરકાંઠા, તાપી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓએ પણ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાની પ્રશંસા કરી હતી.