પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારતનું પાણી ભારતના લાભ માટે વહેશે, તેનો સંચય ભારતના લાભ માટે કરવામાં આવશે અને તેનો ઉપયોગ ભારતની પ્રગતિ માટે કરવામાં આવશે. ગઈકાલે નવી દિલ્હીમાં એક ખાનગી ટીવી ચેનલના સંમેલનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દાયકાઓ સુધી, નદીના પાણીનો ઉપયોગ રાજ્યો વચ્ચેના વિવાદો માટે થતો હતો.તેમણે કેન-બેતવા જોડાણ પરિયોજના અને પાર્વતી-કાલીસિંધ-ચંબલ જોડાણ પરિયોજના જેવી મુખ્ય પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા ભારપૂર્વક જણાવ્યું કે આ યોજનાઓથી પાણીની સુલભતા સુનિશ્ચિત થશે અને લાખો ખેડૂતોને લાભ થશે.ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ સમજૂતી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને ભારતીય વેપાર અને એમએસએમઈ માટે તકોનું સર્જન કરશે. શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લાં 10-11 વર્ષમાં તેમની સરકારે વર્ષોથી અનિર્ણિત મુદ્દાઓનો ઉકેલ લાવવા નિર્ણયાત્મક પગલાં લીધાં છે. તેમણે બેન્કિંગ ક્ષેત્રમાં થયેલા સુધારા અંગે જણાવ્યું.મુંબઈમાં તાજેતરમાં યોજાયેલા વેવ્સ શિખર સંમેલનનો ઉલ્લેખ કરતા, શ્રી મોદીએ નોંધ્યું કે એકલા યુટ્યુબે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય સામગ્રી નિર્માતાઓને 21 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા છે, જે સાબિત કરે છે કે સ્માર્ટફોન સંચાર સાધનોથી આગળ વધીને સર્જનાત્મકતા અને આવક પેદા કરવા માટેનું શક્તિશાળી માધ્યમ બન્યાં છે.
Site Admin | મે 7, 2025 8:59 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતનું પાણી ભારતના લાભ માટે વહેશે અને તેનો ઉપયોગ ભારતની પ્રગતિ માટે કરાશે
