સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે વર્ષ 2025-26 માટે 12 હજાર કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચે સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ યોજનાનો લાભ 10 કરોડ 33 લાખથી વધુ પરિવારોને મળ્યો છે.સરકારે IOCL, BPCL અને HPCL સહિત ત્રણ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ માટે 30 હજાર કરોડ રૂપિયાની વળતર રકમને મંજૂરી આપી છે. ઉપરાંત 4 હજાર 200 કરોડ રૂપિયાના બજેટ સાથે ટેકનિકલ શિક્ષણમાં બહુ-શાખાકીય શિક્ષણ અને સંશોધન સુધારણા યોજના માટે સહાયને પણ મંજૂરી આપી છે.શ્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે સરકારે આસામ અને ત્રિપુરા માટે વિશેષ વિકાસ પેકેજની હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજના હેઠળ ચાર નવા ઘટકોને પણ મંજૂરી આપી છે, જેમાં કુલ 4 હજાર 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. સરકારે તમિલનાડુમાં 2 હજાર 157 કરોડ રૂપિયા ખર્ચે ચાર માર્ગીય મરક્કનમ-પુડુચેરી હાઇવેના નિર્માણને પણ મંજૂરી આપી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 8:36 એ એમ (AM)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે 12 હજાર કરોડ રૂપિયાની સબસિડીને સરકારની મંજૂરી
