પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે. તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી વડોદરા, ભુજ, અમદાવાદ અને ગાંધીનગર એમ ચાર શહેરોમાં રોડ શો યોજશે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, પ્રધાનમંત્રી આવતીકાલે સૌપ્રથમ દાહોદમાં ભારતીય રેલવેનો લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એક 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ ઇંજિનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી દાહોદમાં વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેન સહિતની વિવિધ રેલ પરિયોજના સહિત ગુજરાત સરકારના 24,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનો પ્રારંભ કરાવશે.
ત્યાર બાદ શ્રી મોદી ભુજમાં ₹53 હજાર કરોડથી વધુના અને બીજા દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ₹5 હજાર 536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
દાહોદમાં પ્રધાનમંત્રી આણંદ – ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ – હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી – બોટાદ 107 કી.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ – કડી – કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત રેલવેના કુલ ₹23, હજાર કરોડથી વધુના કામોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના હસ્તે દાહોદમાં ₹181 કરોડની પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ થશે જેનાથી મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુખાકારીના ₹233 કરોડના વિકાસ કામો જનસમર્પિત કરશે. વડોદરા જિલ્લામાં સાવલી – ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, સહિતના રસ્તા પુલ નિર્માણના ₹581 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાશે. પ્રધાનમંત્રી ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.
Site Admin | મે 25, 2025 7:40 પી એમ(PM)
પ્રધાનમંત્રી આવતીકાલથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે
