ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 7, 2025 9:04 એ એમ (AM)

printer

પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા હેઠળનાં કાશ્મીરમાં ભારતનું ‘ઓપરેશન સિંદુરઃ’ હવાઈ હૂમલામાં નવ આતંકવાદી થાણા નષ્ટ કર્યા

પહલગામમાં આતંકવાદી હૂમલાનાં 15 દિવસ બાદ ભારતીય લશ્કરે ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં કાશ્મીર-POKમાં હવાઈ હૂમલા કરીને આતંકવાદીઓનાં નવ અડ્ડા નષ્ટ કર્યા હતા. ભારતીય સેનાએ લશ્કર એ તોઇબા, જૈશ એ મહમ્મદ અને હિઝબુલ મુજાહિદીન જેવા આતંકવાદી સંગઠનોનાં છુપા થાણાને નષ્ટ કર્યા હતા.લશ્કરે સિયાલકોટ, બરનાલા, મુઝફ્ફરાબાદ, તેહરીકલાં અને મુરીદકે જેવા પાકિસ્તાન અને પીઓકેનાં સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઓપરેશન સિંદુર નામની આ કાર્યવાહીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રિ દરમિયાન પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કર્યું હતું. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર સંરક્ષણ મંત્રીએ લખ્યું, ભારત માતા કી જય.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભારતીય લશ્કરની પ્રશંસા કરતા લખ્યું જય હિન્દ. જય હિન્દ કી સેના. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે આ પગલું કેન્દ્રીત, નિશ્ચિત અને સંયમિત હતું, જેમાં પાકિસ્તાની લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા નથી. લશ્કરે લક્ષ્યોની પસંદગી અને અમલીકરણની પદ્ધતિમાં નોંધપાત્ર સંયમ દર્શાવ્યો છે.
રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલે અમેરિકામાં તેમના સમકક્ષ સાથે વાતચીત કરી હતી. અમેરિકામાં ભારતનાં દુતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લોકો જાણતા હતા કે કંઈક થવાનું છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચેનો તણાવ ટૂંક સમયમાં સમાપ્ત થશે. દરમિયાન, પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ વિરામ ભંગ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. ગોળીબારમાં ભારતનાં ત્રણ નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થયા છે. ભારતીય સેના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેના સવારે 10 કલાકે પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદુર અંગે વધુ માહિતી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ