પાકિસ્તાન દ્વારા જમ્મુ તેમજ પશ્ચિમ સરહદ નજીકના કેટલાંક લશ્કરી મથકોને નિશાન બનાવીને કરેલા હવાઈ હુમલાઓને ભારતે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાનનાં ડ્રોન અને મિસાઇલોને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે, આ હૂમલાઓમાં ભારતને કોઈ નુકસાન થયું નથી.
પાકિસ્તાનનાં હૂમલાને પગલે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ભુજનાં કેટલાંક વિસ્તારોમાં અંધારપટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સતવારી, સાંબા, આરએસ પુરા અને અર્નિયામાં આઠ મિસાઇલો ફેંકવામાં આવી હતી, જેને હવાઇ સંરક્ષણ એકમો દ્વારા આંતરીને નિષ્ક્રિય બનાવવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના સૈન્ય મથકોને પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને નિશાન બનાવ્યા હતા, જેમાં કોઈ નુકસાન થયું નથી. દરમિયાન રાત્રે 11 વાગ્યે સાંબા જિલ્લામાં સરહદ સલામતી દળે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
સંરક્ષણ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પશ્ચિમી સરહદ પર અનેક સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. કચ્છ જિલ્લાના અમારા સંવાદદાતા હેમાંગ પટણી જણાવે છે કે, કચ્છના સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યાં છે અમારા પ્રતિનિધિ
(બાઈટ –હેમાંગ પટ્ણી )
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદની સ્થિતિનો તાગ મેળવવા બીએસએફ અને સીઆઇએફના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકા સહિતનાં દેશોનાં સમકક્ષો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત કોઈ પણ હૂમલાનો જડબાતોડ જવાબ આપશે.
. . . . . . . . . . . . . .
Site Admin | મે 9, 2025 8:30 એ એમ (AM)
પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન સરહદે કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યાં
