જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો વિવિધ જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીના વેપારીઓએ આજે બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે.
સાબરકાંઠાના હિમ્મતનગર, પ્રાન્તિજ અને તલોદમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું. ઈડર અને વડાલીમાં ગઈકાલે લોકોએ મીણબત્તી સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન મહીસાગરના વિરપુરમાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. જ્યારે મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે બે મિનિટનું મૌન રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
મોરબીમાં પણ વેપારી મહામંડળ સહિતના સંગઠનોએ આજે બંધની જાહેરાત કરતાં પરાબજાર, તખ્તસિંહજી રોડ, સોની બજાર, ગ્રીન ચોક, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી વિરોધમાં જોડાયા હતા.
તો, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા મૃતકોની આત્માની શાન્તિ માટેનો સંકલ્પ લઈ પૂજા સામગ્રી સોમનાથ દાદાને અર્પણ કરવામાં આવી હતી.
Site Admin | એપ્રિલ 25, 2025 3:09 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો વિવિધ જિલ્લામાં વિરોધ કરાયો
