પાકિસ્તાન દ્વારા કચ્છથી લઇને જમ્મુ તેમજ પશ્ચિમ સરહદ નજીકના કેટલાંક લશ્કરી મથકોને નિશાન બનાવીને કરેલા હવાઈ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાનનાં ડ્રોન અને મિસાઇલોને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે, આ હૂમલાઓમાં ભારતને કોઈ નુકસાન થયું નથી.પાકિસ્તાનનાં હૂમલાને પગલે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અંધારપટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સતવારી, સાંબા, આરએસ પુરા અને અર્નિયામાં આઠ મિસાઇલો ફેંકવામાં આવી હતી, જેને હવાઇ સંરક્ષણ એકમો દ્વારા આંતરીને નિષ્ક્રિય બનાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરહદની સ્થિતિનો તાગ મેળવવા બીએસએફ અને સીઆઇએફના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકા સહિતનાં દેશોનાં સમકક્ષો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત કોઈ પણ હૂમલાનો જડબાતોડ જવાબ આપશે.અગાઉ ગઈ કાલે દિવસ દરમિયાન ભારતે લાહોર સહિતની મહત્વની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ ગઈકાલે પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એવું જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે.
Site Admin | મે 9, 2025 9:41 એ એમ (AM)
ગત રાત્રી દરમિયાન પાકિસ્તાન દ્વારા કચ્છથી લઇને જમ્મુ વિસ્તારમાં કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યાં.
